માતમમાં ફેરવાઈ મજા, લોકો ખુશ હતા અને અચાનક જ પુલના થઇ ગયા ટુકડા

મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મોરબીની દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે.

  • મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું
  • મોરબીની દુર્ઘટનાના CCTV આવ્યા સામે
  • ગણતરીની સેકન્ડમાં પુલના થઈ ગયા કટકા

મોરબી દુર્ઘટના CCTV

મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયોને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે મોરબીની દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઝૂલતો પુલ તૂટ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મોરબી દુર્ઘટના CCTV

જેમાં પુલ તૂટતો નજરે પડી રહ્યો છે. પુલ તૂટ્યા પહેલા ઝૂલી રહ્યો હતો. પુલ તૂટતાં જ તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે લોકો પુલ પર મજાક મસ્તી કરી રહ્યા છે. ગણતરીના સેકન્ડમાં પુલના કટકા થઈ ગયા અને લોકો એકપછી એક નદીમાં પટકાયા હતા. ચારેબાજુ ચિચિયારીઓ સંભળાઈ.

મૃતદેહો જોઈ ભલભલાના કંપી ઉઠ્યા કાળજા

મોરબીમાં હોનારત… દુર્ઘટના એવી કે આખા ગુજરાતની આંખોમાં આંસુ આવી ગયા. બાળકો અને મહિલાઓના મૃતદેહો જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠયા, આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.

મોરબી દુર્ઘટનાના અત્યાર સુધીના તમામ સમાચાર

  • મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
  • ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
  • CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
  • આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
  • મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
  • તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
  • મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
  • દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
  • ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
  • જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો

મોરબી દુર્ઘટના વિડીયો